વણથંભી વિકાસ યાત્રામાં કોઇ વર્ગ વિકાસ વિહોણુ ન રહી જાય તે અમારો મુખ્ય ધ્યેય : સાંસદ વિનોદભાઇ ચાવડા
આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે વડાપ્રધાનના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે થયેલ સંવાદ કાર્યક્રમ સાથે મોરબી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
વિવિધ જનકલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના નેતૃત્વમાં ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. ગામડાઓમાં વીજળી, રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી અનેક પ્રકારની માળખાકીય સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. નારી કલ્યાણ હેતુ સખીમંડળથી લઇને દીકરીઓના અભ્યાસ અને લગ્ન સુધીની સુકન્યા જેવી અનેક યોજનાઓ દેશને ભેટ આપી છે. ગામડે ગામડે અધ્યતન સુવિધાસભર અત્યાધુનિક શાળાઓનું નિર્માણ થયું છે.
ગુજરાતને વિકાસ મોડેલ ગણાવતા ગરીબોના કલ્યાણઅર્થેની વિવિધ યોજાનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર યોજનાઓની વાત કરવી હોય તો સપ્તાહ બેસાડવી પડે. કિસાનોની આવક બમણી કરવા માટે કિસાન સન્માન નિધિ યોજના જેવી અનેક યોજનાઓ આપી, ઉપરાંત કોરોના કાળ દરમિયાન રાષ્ટ્રવ્યાપી રસીકરણ પણ કર્યું. વિશ્વના અન્ય દેશોને રસી આપીને ભારતનો માનવતાવાદી અભિગમ પણ વડાપ્રધાનએ દાખવ્યો હતો.