વાંકાનેરમાં ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચમાં વેપારીએ રૂ.48 લાખ ગુમાવ્યા
વાંકાનેરમાં મોનાલી ચેમ્બરમાં અરબાબ એજન્સી નામે આવેલ વેપારીની દુકાન ખાતે આરોપીઓએ ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી વેપારીને રૂ. ૪૮,૦૩,૮૮૫નુ રોકાણ કરાવી વેપારીએ રૂપિયા પરત માગતા રૂપિયા પરત નહી આપી છેતરપીંડી કરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામે રહેતા અને ખેતી તથા વેપાર કરતા મકબુલ હુસૈનભાઈ માથકિયા (ઉ.વ.૨૮) એ આરોપી ટેલીગ્રામ યુઝર, વોટ્સએપ યુઝર, યુપીઆઇ આઈડી, બેન્ક ધારક સહિત ૧૫ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરી ફરીયાદીને ઘર બેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદીને રૂ,૪૮,૦૩,૮૮૫/-નું રોકાણ કરાવી ફરીયાદીએ રૂપીયા પરત માંગતા આરોપીઓએ હજુ ટેકસની રકમ ભરો તો જ રૂપીયા પરત મળશે તેમ કહી ફરીયાદીને આજદિન સુધી રૂપીયા પરત નહી આપી ફરીયાદી સાથે ગુન્હાહીત કાવતરૂ રચી વિશ્વાસધાત છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.