મોરબી: ગ્રામ પંચાયતમા અમુક તલાટી કમ મંત્રીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવતા હોવાની કલેકટરને રજૂઆત
મોરબી: મોરબી તાલુકામાં આવતી ગ્રામ પંચાયતમા અમુક તલાટી કમ મંત્રીઓ હાજર ન રહેતા હોય અને અરજદારોને ધક્કા ખવરાવતા હોવાની મોરબીના સામજીક કાર્યકર દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના સામાજિક કાર્યકર મિલન ડી. સોરીયા દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી તાલુકામાં આવતી ગ્રામ પંચાયતના અમુક તલાટી કમ મંત્રીઓ ફરજના સમયગાળા દરમ્યાન ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહેતા નથી. તેમજ અરજદારો આવકના દાખલા, વારસાઈ આંબા કે અન્ય કામ સબબ તેમની પાસે જતાં હોય, તેઓ દ્વારા કાલે આવજો, આજે મારે કામ છે, આવા જવાબો પાઠવી અરજદારોને ધકકા ખવડાવે છે. ત્યારબાદ બીજા દિવસે જતા તેઓ ગ્રામ પંચાયત કચેરીમાં હાજર રહેતા નથી. તેમજ તેઓને ફોન કરતા મોરબી આવવા જણાવે છે. અને હાલમાં અમુક તલાટી કમ મંત્રીઓ મોરબીમાં પ્રાઈવેટ ઓફીસો ચલાવી રહેલ છે. તેમજ અમુક ગામમાં તલાટી કમ મંત્રીઓ માત્ર મંગળવાર અને શુક્રવારના દિવસે જ ફરજ ઉપર હાજર રહે છે.
તેમજ વધુમાં જણાવ્યું હતું કે અઠવાડીયામાં કયા દિવસે તાલુકા પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રી સાથે મીટીંગનું આયોજન કરવામાં આવે છે ? તેમજ તલાટી કમ મંત્રી રજા ઉપર હોય તો ગ્રામ પંચાયત કચેરીએ રજા રીપોર્ટ કરવામાં આવે છે કે કેમ ? જે અંગેની સામાજીક કાર્યકરને લેખીતમાં જાણ કરવા જણાવાયું છે.