મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે 24 માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ
સમગ્ર દેશમાં આજે ૨૪ માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે મોરબી જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે આજે 24 માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ટીબી અંતર્ગત ક્વોલિટી યુક્ત નિદાન તથા સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે, ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામૂહિક ચિંતા કરી તેમને નિક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી રકમ માં વધારો કર્યો છે. સાથે સાથે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકલ દાતા દ્વારા ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવે છે.
સરકારએ ટીબી મુક્ત ભારત બનાવવાનું જે લક્ષ્ય નિર્ધારિત કરેલ છે તે દિશામાં મોરબી સતત આગળ વધી રહ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ માં કુલ ૩૬૩ ગ્રામ પંચાયત માંથી ૧૨૬ પંચાયત ધારા ધોરણ મુજબ વેરીફીકેશન થયા બાદ ટીબી મુક્ત જાહેર થયેલ છે. જાહેર થયેલ ટીબી મુક્ત પંચાયતના સરપંચને આ કાર્યક્રમમાં આમંત્રિત કરી તેઓને સરકાર દ્વારા નિર્ધારિત થયેલ ગાંઘીજીની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ.
સાથે-સાથે મોરબી તાલુકાના ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું તથા “નિક્ષય મિત્ર” તરીકે નોંધાયેલ અગ્રણી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ તેમજ એક જીલ્લા ક્ષય કેન્દ્ર ના આરોગ્ય કર્મચારી કોમલબેન બાવરવાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, RCHO ડો. સંજય શાહ ,DTO ડૉ. ધનસુખ અજાણા, THO ડો. રાહુલ કોટડીયા, DIECO, સંઘાણી ભાઈ, પ્રોગ્રામ કો- ઓર્ડનેટર પિયુષ ભાઈ જોષી, તાલુકા ટીબી સુપર વાઇઝર અંકિત ભાઈ પરમાર સહિત સમગ્ર અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.