કેમિકલ યુક્ત પાણી છોડવાની સમસ્યા સદંતર બંધ થાય તેવી ગ્રામજનોની માંગ
મોરબી: મોરબીના ભડીયાદ ગામે આવેલ ગોલ્ડન યલો પેપર મીલ દ્વારા છેલ્લા એક મહિનાથી કેમિકલ યુક્ત પાણી વોંકળામાં છોડાતા ગ્રામજનોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પાણી ખૂબ દુર્ગંધ મારતું હોવાથી સ્થાનિકોને શ્વાસ લેવામાં અને રહેવામાં તકલીફ પડી રહી છે અને જીપીસીબીને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેથી સ્થાનિકો દ્વારા આ કેમિકલ યુક્ત પાણી સદંતર બંધ કરવાં માંગ ઉઠી છે.
મોરબીમાં પેટ કોક કોલસા બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે જેમાં હજુ સુધી જીપીસીબીએ કોઈ પણ પ્રકારની કામગીરી કરી બતાવી નથી અને અનેક ગ્રામ પંચાયતોના સરપંચ દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો છતાં જીપીસીબીની કામગીરી જે પ્રકારે થવી જોઈએ તે પ્રકારે થઈ નથી રહી થોડા મહિનાઓ પહેલાં ઘૂંટુ નજીક કેમિકલ ભરેલું ટ્રક પકડાયું ત્યારબાદ પણ અનેક વખત અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં જીપીસીબીની કામગીરી ઉપર આંગળીઓ ચિંધાણી છે.ત્યારે થોડા સમય પહેલા મોરબીના ગોર ખીજડીયા ગામે કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડતા હોવાની ફરીયાદ ઉઠી હતી તેમ છતા તેમા પણ જીપીસીબી વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી.
ત્યારે વધુ એક ફરીયાદ ઉઠી જેમાં મોરબી તાલુકાના ભડીયાદ ગામ નજીક ગોલ્ડન યલો પેપર મીલ આવેલ છે જે પેપર મીલમાંથી નીકળતું કેમિકલ યુક્ત ગંદું પાણી છેલ્લા એક મહિનાથી વોંકળામાં છોડી રહ્યા છે જેના કારણે ગ્રામજનોને ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાણી ખૂબ દુર્ગંધ મારતું હોવાથી લોકોને રહેવામા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે તેમજ આ બાબતે નકટા મોરબી જીપીસીબી વિભાગને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી રહી. કેમકે જીપીસીબી વિભાગને હપ્તો પોહચી જાય છે જેથી જીપીસીબી વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી.
જીપીસીબીની આ હપ્તાખોરીના કારણે મોરબીની છબી ખરડાઈ રહી છે. તથા અધિકારીઓની ખીચા ભરવાની લાલચમાં અનેક લોકો અને પશુ પક્ષીઓ મોતના મુખમાં ધકેલી રહ્યા છે તેમજ પ્રકૃતિ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે આ કેમિકલ યુક્ત પાણી સદંતર બંધ કરવામાં આવે અને ગોલ્ડન યલો પેપર મીલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભડીયાદ ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે અને આગામી દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહી આવે તો જીપીસીબી વિભાગની કચેરી ખાતે હલ્લાબોલ કરી આંદોલન કરવાની ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)