માળીયાના મહેન્દ્રગઢ ગામને એસ.ટી. બસની સુવિધા આપવા કોંગ્રેસની માંગ
માળીયા તાલુકાના મહેન્દ્રગઢ ગામે એસ.ટી. બસ સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ અને લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી મહેન્દ્રગઢ ગામને એસટી બસની સુવિધા આપવા અંગે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ એસટી ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી એસટી ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે માળીયા તાલુકાના મહેન્દ્રગઢ ગામે એસ.ટી. બસની સુવિધાનો અભાવ હોવાથી મહેન્દ્રગઢ ગામના વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તેમજ ગામલોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ વિધાર્થીઓ તેમજ ધંધાર્થીઓ સમયસર જે તે સ્થળે પહોંચી શકતા નથી.
(૧) મોરબી-સરવડ વાયા મહેન્દ્રગઢ-સરવડનો ફેરો સવારનો જે ઘણા સમયથી બંધ છે તે ચાલુ કરાવવો અથવા તો સવારે ૮.૦૦ કલાકના સમયમાં પીપળીયા ચાર રસ્તા તરફનો અન્ય રૂટ સરવડ -મહેન્દ્રગઢ તરફ ચલાવવો.
(૨) મોરબી-માળીયા ૩.૪૫ કલાકે ઉપડતો રૂટ ખુબ જ અનિયમિત સમયે ચાલે છે. જેથી સરવડ અભ્યાસ માટે જતાં મહેન્દ્રગઢના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય આ રૂટ સમયસર કરાવવો.
(૩) રાજકોટ-માળીયા બસ રૂટ વારંવાર કેન્સલ કરાય છે તથા સાંજે ખુબ મોડી ઉપાડે છે જે રૂટ સમયસર કરવો.
આ પ્રશ્નોને ધ્યાને લઈ મહેન્દ્રગઢ ગામના રૂટ નિયમિત કરી વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તથા ગામલોકોના મહત્વના પ્રશ્નોનો નિકાલ કરી આપવા મોરબી એસટી ડેપો મેનેજરને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે રજુઆત કરી માંગ કરી છે.