મોરબીમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ
મોરબી: મોરબીમાં બાળકને હેરાન ના કરવા બાબતે ટપારતા ઉશ્કેરાઈ ગયેલા ઇસમેં યુવક સાથે ઝઘડો જાતિ પ્રત્યે હડધૂત કરી છરીના ઘા ઝીંકી દઈને યુવનની હત્યા કરી હતી. જયારે આ હત્યાનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે તો અન્ય ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર રહેતા હુશેન ફકરૂદિન વ્હોરા (ઉ.વ.૨૩) નામના યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૨-૦૩-૨૦૨૧ ના રોજ સાંજે ફરિયાદી અને મિત્ર અજીત પરમારનો બજારમાં ખરીદી કરવા ત્રાજપર ચોકડી પાસે કપડાની દુકાને ગયા હતા જ્યાં એક ઇસમેં સાતેક વર્ષના બાળકનો હાથ મરડી હેરાન કરતો હોય જેથી બંને મિત્રો સમજાવવા જતા આરોપી ઉશ્કેરાઈ જઈને ઝઘડો કરતા અજીતને તીક્ષ્ણ હથિયારના ઘા મારી દીધો હતો તેમજ ફરિયાદીને પણ ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત અજીત ગોરધન પરમારને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હત્યા કરનાર આરોપી રમેશ ઉર્ફે રમલો મંગાભાઈ બાંભવાએ હત્યા કાર્ય બાદ આરોપી જીગ્નાબેન ઉર્ફે જુલીબેન પેથાભાઈ મોરવાડિયાને ફોન કરી બનાવ વાળી જગ્યાએ બોલાવી હતી જેને અન્ય આરોપી નિલેષ ઉર્ફે હિતો વાલજી રાઠોડને બોલાવી રીક્ષા લઈને આવી હત્યાના આરોપીને પોલીસથી બચાવવા સંતાડવા પોતાના ઘરે લઇ જઈને આશરો આપી તેમજ આરોપી કિશન બાબુ વલીયાણી તેમજ જીગ્નાબેને પોતાના ઘરે આશરો આપી મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ જજ અને સ્પેશિયલ એટ્રોસીટી જજ વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.જાનીની ધારદાર દલીલો અને ૧૮ મૌખિક તેમજ ૪૧ દાસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપી રમેશ ઉર્ફે રમલાને આજીવન કેદ અને રૂપિયા ૨ લાખનો દંડ ફટકારતો હુકમ કરી અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરી દંડની રકમ મૃતકને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.