Tuesday, September 24, 2024

મોરબીમાં અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં ૬ કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત માત્ર પાંચ રૂપિયામાં મળશે ભોજન

મોરબીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૬ નવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્રોનું લોકાર્પણ મોરબીમાં પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ, ઉપરાંત ગાંધીચોક નગરપાલિકા પાસે, સનાળા રોડ ઉમિયા સર્કલ, મયુર બ્રિજ કેસરબાગ સામે, બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે અને મુખ્યમંત્રી આવાસ યોજના લીલાપર રોડ ખાતે કડિયાનાકા પર કરવામાં આવ્યુ હતું.

મોરબીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનો શુભારંભ કરાવામાં આવ્યો છે. રાજ્યમાં પહેલા ૧૧૮ કેન્દ્રો હતા જે આજે ૧૫૫ થયા છે. આ કેન્દ્રોની સંખ્યા વધવાથી શ્રમિકો શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મહતમ લાભ લઈ શકશે.

જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધીએ જણાવ્યું હતું કે, શ્રમિકો ઘણા બધા લોકોના સપના સાચા કરે છે માટે તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા શ્રમકાર્ડ ધારક શ્રમિકોને રૂ. ૫ ના દરે રોટલી, દાળ-ભાત, કઠોળનું શાક જેવો પૌષ્ટીક આહાર આપવામાં આવે છે. જેથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.

જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાભાઈ ટમારિયાએ શ્રમકાર્ડ યોજના વિશે જાણકારી આપી યોજના અંતર્ગત મળતા વિવિધ લાભો વિશે વિસ્તૃત સમજ આપી હતી.

કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે આજનો આ અન્નપૂર્ણા યોજનાનો કાર્યક્રમ જિલ્લામાં જ્યાં શ્રમયોગીઓ એકત્રીત થાય છે તેવી વિવિધ ૬ જગ્યાએ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલ અન્નપૂર્ણા યોજનાની આજે મોરબી જિલ્લામાં પણ શરૂઆત થઈ ગઈ છે, જેથી મોરબી જિલ્લાના શ્રમિકોને પણ સરકારની આ યોજનાનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને ચેક તથા CISS અંતર્ગત બાળકો અને પરિવારને ટીફીન અને સ્કૂલ બેગ અર્પણ કરાયા હતા. જેથી શ્રમકાર્ડ ધારકો જિલ્લામાં આવેલ અન્નપૂર્ણા કેન્દ્રએ જઈને રૂ. ૫ ના નજીવા દરે ટીફીન ભરીને પૌષ્ટીક આહાર મેળવી શકે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ અમદાવાદ ખાતેથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો હતો. આ વર્ચ્યુઅલી કાર્યક્રમ મોરબીમાં ઉપસ્થિત લોકોએ નિહાળ્યો હતો. વિવિધ કડીયાનાકા ખાતે શરૂ થનારા આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦ થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ૬.૯૪ લાખ બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષા સંબંધિત ૧૭ યોજનાઓ કાર્યરત છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પણ ઇ-નિર્માણ કાર્ડ ધારક શ્રમિકોને આપવામાં આવે છે. ભોજન વિતરણ કેન્દ્રો ખાતે શ્રમિકના ઈ-નિર્માણ કાર્ડ ઉપર દર્શાવેલા ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરી ભોજન આપવામાં આવે છે. ત્યાં શ્રમિકને એક સમયનું ભોજન વધુમાં વધુ ૬ વ્યક્તિની મર્યાદામાં આપવામાં આવે છે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ના હોય, તેવા બાંધકામ શ્રમિકોની બુથ પર જ હંગામી નોંધણી થાય છે અને તેના આધારે ૧૫ દિવસ સુધી ભોજન આપવામાં આવે છે. ત્યારબાદ ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિક તથા તેના પરિવારને માત્ર પાંચ રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા પંચાયત કારોબારી સમિતી ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઇ મામલતદાર નિખિલ મહેતા, અગ્રણી રણછોડભાઈ દલવાડી, અરવિંદભાઈ વાંસદડીયા, કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, જિલ્લાના પદાધિકારી, અધિકારી કર્મચારીઓ લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર