સરકાર દ્વારા બનાવેલ નવી શિક્ષણ નીતિમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટેના નવા નિયમોમાં ફેરફાર કરવા CMને રજુઆત
મોરબી: હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે. જેમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટેના નવા નક્કી કરાયેલા નિયમોમાં કેટલાક ફેરફાર કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે આ નવી શિક્ષણ નીતિમાં પહેલા ધોરણના પ્રવેશ માટે વય મર્યાદા ૬ વર્ષની કરવામાં આવી છે. જે પહેલા પાંચ વર્ષની હતી. અને આના માટે પ્રવેશ પાત્ર ઉપર માટેની છેલ્લી તારીખ પહેલી જુને જ્ન્મેલા બાળકને તો પ્રવેશ મળશે પરંતુ બીજી જુને જન્મેલા બાળકને એક વર્ષ પછી એટલે કે સાત વર્ષે પ્રવેશને લાયક ગણવામાં આવશે આવો નિયમ છે. એટલે કે એક દિવસ મોડું જન્મેલ બાળકને એક વર્ષ રાહ જોવી પડશે. માટે આવા નિયમમાં ફેરફાર કરવા માટે માંગણી કરી છે.
એક તો પહેલા જે પાંચ વર્ષની વય મર્યાદા હતી તેમાં એક વર્ષનો વધારો કરવામાં આવેલ છે. અને ઉપરથી નિયમ જડતાના કારણે એક દિવસ પાછળ જન્મેલા બાળકને વધારાના એક વર્ષ પછી પ્રવેશ મળશે. જેથી આ બાળકને પોતાની ભવિષ્યમાં દરેક જગ્યાએ એક વર્ષ પાછળ રહેવાનો વારો આવશે.
સરકારી નોકરીમાં વય મર્યાદાઓ હોય છે. જેમાં આવા એક વર્ષ પછી પ્રવેશ મેળવનાર બાળકોને સરકારી નોકરીમાં ચાન્સ અન્ય બાળક કરતા ઓછો મળવાના કારણે નોકરીથી વંચિત રહેવાનો વારો આવશે.
તેથી આવા જડ નિયમમાં ફેરફાર કરીને ઓછામાં ઓછા છ માસની છુટ આપવામાં આવે તે માટે કેન્દ્ર સરકારમાં યોગ્ય રજુઆતો કરવામાં આવે તે માટે આ બાબતે સકારાત્મક નિર્ણય આવે તે હેતુથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.