મોરબી: ગુજરાતમાં આજે માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવાની મુખ્ય માંગ સાથે આજે મોરબી સહીત રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ નહીં કરવા અંગે નિર્ણય કર્યો છે. ત્યારે મોરબીમાં આજે આ દુધની હડતાલને સમર્થન મળ્યું છે. મોરબીમાં આજે મોટાભાગની ખાનગી ડેરીઓ બંધ જોવા મળી રહી છે તેમજ માલધારીઓ દ્વારા આપવામાં આવતુ ઘર -ઘર દુધ વિતરણ પણ બંધ રહ્યું છે. મોરબીમાં આજે માલધારીઓ સમાજના આ ગુજરાત બંધના એલાનના કારણે ચાની લારીઓ અને હોટલો બંધ રહી હતી. મોરબી જિલ્લા અને શહેરમાં પણ દૂધ વિતરણ બંધ રહ્યું હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.
માલધારી સમાજે વિવિધ ૧૧ જેટલી માંગણીઓ માટે સરકાર વિરુદ્ધ બાયો ચડાવી છે. સરકાર ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચે, ગૌચર ખાલી કરાવે, માલધારીઓને વાડા હક્કની જમીન આપે વગેરે જેવી અગીયાર માંગણીઓ માટે આજે ગુજરાત બંધનું એલાન કરેલ છે.
આજે મોરબી શહેર અને જિલ્લામાં માલધારી સમાજના આગેવાન નવઘણભાઈ રબારી, હરી ભરવાડ, ભરતભાઈ બતાડા, અરજણભાઈ રબારી તેમજ પૂંજાભાઈએ દૂધ વિતરણ માટે આવતા માલધારી સમાજને સમજાવી દૂધ વિતરણ બંધ રાખવાનું કહેતા ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ડેરી તથા ખાનગી ડેરીમાં દૂધ ભરવા માલધારી કોઈ ગયા ન હતા. આજે મોરબી શહેરમાં પણ સંપૂર્ણ દૂધનું વિતરણ બંધ રહેલ. સાથે સરકારી ડેરીનું દૂધ પણ આજે મોરબી શહેરમાં વિતરણ થયેલ નથી. ડેરી ચલાવતા માલધારી સમાજના લોકોએ ડેરીઓ બંધ રાખેલ છે.