મોરબી જિલ્લાના રોડ રસ્તાઓની હાલત ખૂબ બિસ્માર હાલતમાં હોય જે અંગે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, અશોક ખરચડીયા અને જગદીશભાઈ બાંભણીયા એ ગુજરાતના મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે.
મોરબી જિલ્લાના તમામ રસ્તાઓ નેશનલ હાઈવેના રોડ હોય કે શહેરી વિસ્તારના રવાપર રોડ,નગરપાલિકા કચેરી રોડ,કલેકટર બંગલો રોડ,નવા બસ સ્ટેશન રોડ પર, બજાર મેઇન રોડ તમામની હાલત હાલ ખૂબ બીસ્માર હોય જે બાબતે સ્થાનિક લોકોને ખૂબ હાલાકી નો સામનો કરવો પડતો હોય ત્યારે આ તમામ રોડ તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે અથવા જેની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે તેવા રોડનું તાત્કાલિક ધોરણે કામ પૂરું કરવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના આરએનબી વિભાગના મંત્રી, મોરબી જિલ્લા કલેકટર, તથા રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજને લેખિતમાં રજૂઆત કરી છે.
સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના રોડ રસ્તાઓ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ તે ગ્રાન્ડ પ્રમાણનું કામ થતું નથી ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા પેટા કોન્ટ્રાક્ટ દઈ કામ પૂરું કરવાની ભાવના કરી પૈસા અને પોતાના વળતરની ટકાવારી ખાઈ જાય છે. મોરબીની પ્રજા આટલો મોટો ટેક્સ ભરે છે તેનો સદુપયોગ પ્રજા માટે થતો નથી. ઉપરાંત નવા બનેલ રોડ નું લેવલીંગ બે થી ત્રણ માસમાં જ વિખાઈ જાય છે, ઉપરાંત આરએનબી વિભાગ દ્વારા રોડના સમારકામના નામે રોડ પર થીગડા મારીને કામ પૂરું કરી દેવામાં આવે છે. ત્યારે બીજી તરફ રોડના કામકાજના સમયે એન્જિનિયર ની ફરજિયાત હાજરી હોવી જોઈએ પરંતુ તે પણ હોતું નથી જેથી રોડ તો બને છે પરંતુ પાણીના લેવલ હતા પાણીના નિકાલની વ્યવસ્થા થઈ શકતી નથી અને રોડનું કામ પણ લોટ પાણીને લીટા જેવું થાય છે. ત્યારે મોરબી શહેરના લોકોને લાખોના ટેક્સ ભર્યા પછી પણ રોડ રસ્તાઓની સુવિધા હજુ સુધી મળી નથી ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત સાથે 15 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું છે કે 15 દિવસમાં જુઓ રોડ રસ્તાની કામગીરી શરૂ નહીં થાય તો જે તે સંલગ્ન કચેરીઓને તાળાબંધી કરવામાં આવશે.