આજે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો થશે જમા
ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. દર ચાર મહિને સરકાર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. અત્યારસુધી આ યોજના હેઠળ 10 હપ્તા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે.કૃષિ મંત્રાલયના નિવેદન મુજબ પીએમ મોદી આજે સિમલામાં ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લેશે અને ત્યાંથી તેઓ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો જમા કરશે.
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ મળવાપાત્ર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા સરકાર આપે છે જે 2000ના 3 હપ્તામાં ખાતામાં જમા થાય છે. ગત એક જાન્યુઆરીએ પીએમ મોદીએ 10મો હપ્તો જમા કર્યો હતો. જેનાથી 10 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો
પીએમ કિસાન સન્માન નિધિ યોજના દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ ઘરેલું જરૂરિયાતો સંબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે તેમની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા સહાયતા કરવાની એક નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. સરકારે યોજના માટે
પરિવારની વ્યાખ્યા આપી છે તેમાં પતિ, પત્ની અને નાના બાળકોનો ઉલ્લેખ કર્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન તેના ખેડૂત પરિવારોને ઓળખ કરશે, જેઓ આ યોજનાની ગાઇલાઇન્સ અનુસાર સહાય મેળવવા પાત્ર ઠરે છે. આ સહાય સીધી જ લાભ મેળવનારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. પરિવારનો એક જ સભ્ય પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આવકને પૂરક બનાવવાના હેતુથી શરૂ કરાઇ હતી. ડિજીટલ ઇન્ડિયાની પહેલ સાથે મળીને આ યોજના દેશના 12 કરોડ ખેડૂતો સુધી લાભ પહોંચાડવામાં સફળ રહી છે.