મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ સાથે આરોપીને દંડ પેટે રૂ. 6.33 લાખની બમણી રકમ 9 ટકા વ્યાજ સાથે ફરિયાદીને પરત આપવાનો પણ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
મોરબી ચીફ કોર્ટે આ કેસમાં મહત્વનો ચુકાદો આપેલ છે જેની મળતી વિગતો અનુસાર ફરીયાદી કંપની ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વતી તેના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણીએ અમદાવાદના રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો જેમાં રત્નવીરભાઈ વિરૂધ્ધ મોરબી કોર્ટમાં રૂ.6,33,251 ના ચેક રીટર્ન અંગેની ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એકટની કલમ 138 અન્વયે દાખલ કરવામાં આવી હતી.
આ ફરિયાદને પગલે મોરબીના મહે. ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ.એન.વોરાએ નગીનકુમાર ભોજાણીના પક્ષે રજુ થયેલ પુરાવાઓ તથા તેમના વકીલોની ધારદાર દલીલોને ધ્યાને લઈ આરોપી રત્નીવીર શુકલને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ડબલ રકમનો દંડ તથા દંડની રકમમાંથી નગીનકુમાર ભોજાણીને ચેકની રકમ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે જેમાં ફરીયાદની તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક 9% વ્યાજ સહિતની રકમ ચૂકવી દંડની રકમ ભરવામાં કસૂર કર્યેથી વધુ 90 દિવસની સાદી કેદની સજા ફરાવવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં ફરીયાદી ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણીના પક્ષે વકીલ તરીકે ચિરાગભાઈ ડી. કારીઆ, રવીભાઈ કે. કારીયા, જગદીશભાઈ એ. ઓઝા તથા ફેનીલભાઈ જે. ઓઝા રોકાયેલ હતા.
