રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કરતા ભૂપેન્દ્ર પટેલ
નગરપાલિકાઓ દ્વારા નગરજનો પાસેથી માળખાકીય સુવિધા-સગવડ માટે લેવામાં આવતા વિવિધ વેરા-કર માં આ રાહતનો લાભ મળશે ર૦રર-ર૩ના નાણાંકીય વર્ષના વેરાની રકમ તા. ૩૦ જૂન-ર૦રર સુધીમાં એડવાન્સ ભરનારા નગરજનોને ૭ ટકા વળતરનો લાભ અપાશે તા. ૧ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં એડવાન્સ ભરનારાને પાંચ ટકા વળતર તા. ૩૦-૭-ર૦રર સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના જૂન અને જૂલાઇ એમ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે
મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ની વેરાની રકમ જો નાગરિકો તા. ૩૦-૬-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને ૭ ટકા વળતર આપવામાં આવશે. એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા. ૩૦ જૂન-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧૨ ટકા વળતરનો લાભ મળશે